![](https://vandebharatlivetvnews.com/wp-content/uploads/2024/04/Blue-Red-Modern-Breaking-News-YouTube-Intro.gif)
પ્રી-મોન્સૂન કામગીરીની ઝોન દીઠ સંકલન બેઠકમાં ભારે પસ્તાળ છતાં ઝોનોમાં પ્રી-મોન્સૂન કામગીરી પાછળ ધ્યાન અપાતું નથી તે બાબત આજે સ્થાયી સમિતિની બેઠકમાં ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન ફરી સપાટી પર આવી ગઈ છે. સ્થાયી સમિતિના કેટલાક સભ્યોએ પ્રી-મોન્સૂન કામગીરી મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી તથા ઝોનના અધિકારીઓ દ્વારા વારંવારની રજૂઆતો છતાં કામગીરી પર ધ્યાન જ અપાતું ન હોવાની ફરિયાદ કરી હતી.નોંધનીય છે કે ગત રોજ સામાન્ય સભામાં પણ શાસક પક્ષના સભ્યોએ વહીવટી તંત્ર પર ભારે પસ્તાળ પાડી હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, પ્રી-મોન્સન કામગીરી બાબતે સભ્યોમાં હજી ઘણી નારાજગી છે. ખાસ કરીને ડ્રેનેજ લાઇનો ચોકઅપ થવાની ફરિયાદો બાબતે ઝોન કે વિભાગના અધિકારીઓ સ્થળ વિઝિટ કર્યા વિના જ સભ્યો અને પ્રજાને જવાબ આપી દે છે. પરંતુ ફરિયાદના નિરાકરણ માટે ધ્યાન અપાતું નથી. સભ્યો અને લોકોની ફરિયાદોના આધારે માત્ર સરકારી જવાબ આપવાના બદલે સ્થળની સ્થિતિ તપાસ કરી સમસ્યાનો ઉકેલ તરફ ધ્યાન આપવાની સૂચના ઝોન /વિભાગોને આપવામાં આવી છે. ખાસ કરીને ઉધના, કતારગામ, લિંબાયત અને રાંદેર ઝોનમાં પ્રી-મોન્સૂન કામગીરીમાં સંતોષકારક પ્રગતિ ન હોવાની રજૂઆતો સભ્યો પાસેથી મળી રહી છે.