
સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા ના ધ્યેય સાથે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લામાં સ્વચ્છ ભારત ગ્રામીણ અંતર્ગત કચરાના કલેક્શન માટે કુલ ૮૦ જેટલી ઇ- રિક્ષાની ફાળવણી કરાઈ છે જેનાં ભાગ રૂપે મહીસાગર જીલ્લામાં લુણાવાડા વિશ્રામગૃહ ખાતેથી ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ચાર ઈ-રિક્ષા બેટરી વ્હીકલને પંચમહાલ સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, જિલ્લા કલેકટર શ્રીમતી નેહાકુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘન કચરાનાં સલામત નિકાલ હેતું ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ઈ-રિક્ષા બેટરી વ્હીકલ આપવામા આવનાર છે તે પૈકી લુણાવાડા તાલુકા ની ચાર પંચાયતોને આજે ફ્લેગ ઓફ આપી જે તે ગામોમાં ઈ-રિક્ષા રવાના કરવામાં આવી હતી.
જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ રીક્ષાની ફાળવણી કરવામાં આવી રહી છે. આ ઇ-રીક્ષા થકી વિવિધ ગ્રામ પંચાયતો ખાતેથી ઘન કચરાને એકઠો કરી નિકાલ કરવામાં આવશે. આપણું ઘર, શેરીઓ અને ગામ તથા શહેરને સ્વચ્છ બનાવવાની સૌની ફરજ છે.કચરો કચરાપેટીમાં નાખી કચરાનો યોગ્ય નિકાલ કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીએ તે માટે જિલ્લા તંત્ર તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરશ્રી સી વી લટા, જિલ્લા ગ્રામ એજન્સીના નિયામકશ્રીમતી સી એન ભાભોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સ્વચ્છ ભારત મિશનના અધિકારીઓ કર્મચારીઓ, તલાટી કમ મંત્રી, સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.









