
સુરતઃ શહેરમાં બે અલગ-અલગ બનાવોમાં ઝાડા-ઊલટી, શરદીની બીમારીમાં સંપડાતા બે બાળકીના મોત થયા હતા. જેમાં પાલનપુર જકાતનાકામાં ૧૪ દિવસની બાળકીનું શરદી-કફ તથા ઝાડાની બીમારીમાં સંપડાતા અને ગોડાદરામાં ૧૮ માસની બાળકીનું ઊલટી સહિતની અન્ય બીમારીમાં સંપડાતા મોત નિપજ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલ પાલનપુર જકાતનાકા ખાતે આવેલ સંતતુકારામ નગરમાં રહેતા રાહુલભાઈ ચોરસિયા ટેક્સટાઇલ માર્કેટમાં જોબવર્કનું કામ કરી પત્ની સહિતના પરિવારનું ભરણપોષણ કરે છે. રાહુલભાઇની ૧૪ દિવસની બાળકી સારિકાને છેલ્લા બે-ત્રણ દિવસથી શરદી-કફ, ઝાડાની બીમારીમાં સંપડાઈ હતી. જેથી પરિવારજનો સારિકાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાંથી વધુ સારવાર માટે ગુરુવારે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં તીબીબે જોઈ તપાસી સારિકાને મૃત જાહેર કરી હતી.બીજા બનાવમાં ગોડાદરા આસ્તિક નગર નજીક રહેતા આલોકભાઈ ચૌધરી છૂટક મજૂરી કામ કરી પત્ની તેમજ ૧૮ માસની બાળકી રિયા સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરાતે રિયાને ઘરે ઊલટી થઈ હતી. બાદમાં તે અચાનક બેભાન થઈ ગઈ હતી. જેથી પરિવારજનો રિયાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં તબીબે રિયાને મૃત જાહેર કરી હતી.




