છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ વિખ્યાત ગેરમેળો ૨૦૨૫ આજે રવિવારે યોજાઈ ગયો.આ મેળામાં આદિજાતિ વિકાસ,પ્રાથમિક- માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કેબીનેટ મંત્રીશ્રી કુબેરજી ડિંડોર, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર, છોટાઉદેપુર સાંસદશ્રી જશુભાઇ રાઠવા, ધારાસભ્ય સર્વેશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસિંહ તડવીએ ગેરમેળામાં પરંપરાગત સંગીતવાદ્યોનો આનંદ લીધો હતો. વર્તમાન સમયમાં અદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાની પહેલ છોટાઉદેપુર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી. કવાંટ ખાતે વર્ષોની પરંપરા મુજબ હોળીના ત્રીજા દિવસે ગેરનો મેળો યોજાયો હતો.ગેરમેળાનું મુખ્ય આકર્ષણ ઘેરૈયાઓની વિવિધ ૨૫ જેટલી ટુકડીઓ હતી. આદિકાળની પરંપરા, વસ્ત્ર પરિધાન અને સંસ્કૃતિની ઝલક આ આદિવાસી યુવાનોની ટુકડીઓ દ્વારા ઉજાગર થઈ. સમગ્ર શરીર પર સફેદ ટપકાં,કમરે મોટા ઘૂઘરાં અને માથે મોરપીંછ ધારણ કરી પરંપરાગત લોકવાદ્યોના નાદ પર લયબદ્ધ નૃત્યુ કરી તેમણે સમગ્ર ગેરના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગેર મેળાની સમગ્ર અદિવાસી બાંધવોને શુભકામના પાઠવતા આદિજાતિ વિકાસ,પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કેબીનેટ મંત્રીશ્રી કુબેરજી ડિંડોરે જણાવ્યું હતુ કે, ગેર મેળો એ વર્ષો જૂની પરંપરા છે. ગામે ગામથી મંડળીઓ બનાવીને લોકવાદ્યો સાથે સ્થાનિકો આ મેળામાં આનંદ કરી રહ્યા છે અને આદિકાળની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. આજે આ મેળો આદિવાસી સંસ્કૃતિ, રીતી રિવાજો અને લોકનૃત્યનો કુંભમેળો લાગી રહ્યો છે. આજના પ્રસંગે તેમણે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા અને જાળવવા યુવાનોને આગળ આવવા આહ્વાન કર્યું હતું. કવાંટ ખાતેના ગેર મેળામાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં આદિવાસી લોકો મેળો મહાલવા માટે આવ્યા હતા. મોટી સંખ્યામાં વિદેશી પર્યટકોએ આદિવાસી સંસ્કૃતિ, લોકનૃત્યને પોતાના કેમેરામાં કંડારી હતી. ગેર મેળામાં પરંપરાગત વાદ્યોના સૂર અને તાલ પર લાખોની સંખ્યામાં સ્થાનિકોએ સમુહમાં લોકનૃત્ય કર્યું હતું.