ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ સર્વિસ દ્વારા આખા ભારતમાં ૧ જુલાઈ થી ૩૦ સપ્ટેમ્બર સુધી નાણાકીય સાક્ષરતા યોજનાનું જન સુરક્ષા અભિયાન ત્રણ માસ સુધી શરૂ થયેલ છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર તાલુકાના પુનીયાવાંટ અને જેતપુરપાવી તાલુકાના મોટીબેજ ગ્રામ પંચાયત ખાતે સંતૃપ્તિ અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય રિઝર્વ બેન્કના અધિકારી શ્રી સુનિલભાઈએ લોકોને કેમ્પના હેતુ સમજાવતા સરકારની વીમા યોજના અને અટલ પેન્શન યોજનાનો દરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ જે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પમાં છોટાઉદેપુર જિલ્લાના લીડ ડિસ્ટ્રીક મેનેજર પીનાકીન ભટ્ટ દ્વારા PMSBY, PMJJBY,અટલ પેન્શન યોજના અને નોમિનેશન અંગે માહિતી આપી હતી. આ ઝુંબેશ અંતર્ગત હાલના નિષ્ક્રિય PMJDY ખાતાઓ હેઠળ કેવાયસીની ચકાસણી, PMSBY, PMJJBY અને APY હેઠળ નોંધણી, PMJDY હેઠળ બેંક ખાતા વગરના પુખ્તવયના લોકો માટે બેંક ખાતું ખોલવું અને ડીજીટલ છેતરપીંડી નિવારણ પર જાગૃતિ મળે અને દરેક વ્યક્તિ યોજનાઓનો લાભ લે અને સરકારના અભિયાનને સફળ બનાવે તેવી બેંકો દ્વારા કામગીરી કરવામાં આવે છે. આ કેમ્પમાં પુનિયાવાંટ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ, મોટીબેજ પંચાયતના સરપંચ ભરતભાઈ, તલાટી, એએફસી રમણજીતભાઈ, બીઓબી મેનજર જેતપુરપાવી, એસબીઆઇ છોટાઉદેપુર મેનેજર, તલાટી, બેંકના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.