

ડાંગ
ગિરિમથક સાપુતારાનાં સર્પગંગા તળાવ કિનારે આવેલા નાગેશ્વર મહાદેવ મંદિરના દાનપેટીની ચોરી કરવા રક્ષક જ ભક્ષક બની ખાખી વર્દીને દાગ લગાડતા સનસનાટી મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારાની શાન ગણાતુ નાગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણનાં પ્રથમ દિવસે જ દાન પેટીમાંથી ચોરીની ઘટના બનતા ભાવિક ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ હતી. આ બાબતેની રામદાસભાઈ બાગુલ આનંદો હોટલે સાપુતારા પોલીસ મથકે ફરીયાદ કરતા
સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. એન.ઝેડ.ભોયા તુરંત જ એલર્ટ મોડમાં આવ્યા હતા. અહીં સાપુતારા પી.આઈ. એન.ઝેડ.ભોયાએ સ્થળ પર પહોચ્યા બાદ ઝીણવટભર્યું નિરીક્ષણ કરી કમાન્ડ કન્ટ્રોલ અને મંદિરનાં સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરી ગુનો ડિટેક્ટ કરી આરોપીને ઓળખી કાઢ્યો હતો. આ મંદિરની દાન પેટીમાંથી કોઈ તસ્કર કે ચોર નહીં પરંતુ તેની રખેવાળી કરનાર હોમગાર્ડ જવાન માધવભાઈ રઘુભાઈ (રહે. જામદર.પો.ગલકુંડ તા.આહવા) હોવાનું ખુલતા સાપુતારા પોલીસ પણ અચંબામાં મુકાઈ હતી. આ ચોરી અંગે સાપુતારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ચોરીને અંજામ આપનાર હોમગાર્ડ જવાને ગુનો કબૂલી લેતા પોલીસે ધરપકડ કરી હતી. હાલમાં સાપુતારા પી. આઈ. એન ઝેડ.ભોયાએ મંદિરની દાનપેટીમાંથી ચોરી કરનાર હોમગાર્ડ જવાન પાસેથી 9,000 રૂપિયાની રકમ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.







