
કચ્છના રાપર તાલુકાના આડેસર ગામમાં સોમવારે સાંજે એક અણધારી ઘટના સામે આવી. ગામના બસ સ્ટોપ નજીક રહેણાંક વિસ્તારમાં ચાર ગૌવંશ મૃત હાલતમાં મળી આવ્યા. આ પશુઓમાં ત્રણ આંખલા અને એક ગાયનો સમાવેશ થાય છે.
વાગડ વિસ્તારના રાપર પંથકમાં ગઈકાલે સાંજે પવન સાથે કરા અને કમોસમી વરસાદ પડયો હતો. આડેસર ગામમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. આ ઘટનાએ ગામમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, વીજળી પડવાની કોઈ પ્રત્યક્ષ માહિતી મળી નથી. પશુ ચિકિત્સક મનોજ પટેલના મતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ વગર મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે નહીં. સ્થાનિકોએ નોંધ્યું છે કે પશુઓના શરીર પર વીજળી પડવાથી થતા દાઝ્યાના નિશાન દેખાતા નથી.
તલાટી મયૂર સોનીએ પ્રાથમિક તપાસમાં કુદરતી વીજળી પડવાથી પશુઓનું મૃત્યુ થયાની નોંધ કરી છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે.