
પાટણમાં ૩૨ જિલ્લા પંચાયત અને ૧૬૫ તાલુકા પંચાયત બેઠકો માટે ૯.૧૨ લાખથી વધુ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ૨૦૨૬ અંતર્ગત આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાન અને તા. ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતગણતરી યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયાને સુચારૂ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
જિલ્લાના કુલ ૦૯ તાલુકાઓમાં જિલ્લા પંચાયતની કુલ ૩૨ બેઠકો અને તાલુકા પંચાયતની કુલ ૧૬૫ બેઠકો માટે મતદાન યોજાશે. જિલ્લા પંચાયતની બેઠકોમાં સરસ્વતી અને સિદ્ધપુર તાલુકામાં સૌથી વધુ ૦૫-૦૫ બેઠકો તથા શંખેશ્વર તાલુકામાં સૌથી ઓછી ૦૨ બેઠકો પર ચૂંટણી યોજાશે. તાલુકા પંચાયત સ્તરે સરસ્વતી તાલુકામાં સૌથી વધુ ૨૪ બેઠકો અને સૌથી ઓછી હારીજ તાલુકામાં ૧૫ બેઠકો માટે મતદાન યોજાશે.
જિલ્લામાં કુલ ૧૦૯૯ મતદાન મથકો પર મતદાન યોજાશે, જેમાં સરસ્વતી તાલુકામાં સૌથી વધુ ૧૭૩ મતદાન મથકો અને શંખેશ્વર તાલુકામાં સૌથી ઓછા ૭૪ મતદાન મથકો આવેલ છે.
ચૂંટણી પ્રક્રિયાના સુચારૂ સંચાલન માટે જિલ્લા સ્તરે ૦૯ રિટર્નિંગ ઓફિસર (RO) અને ૧૮ આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO) ની નિમણૂક કરવામાં આવી છે. તેમજ તાલુકા પંચાયત સ્તરે પણ ૧૮ RO અને ૧૮ ARO ની નિમણૂક કરવામાં આવી છે.
મતદાન મથકો પર મતદારોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે પૂરતી લોજિસ્ટિક્સ વ્યવસ્થા, મૂળભૂત સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
જિલ્લામાં કુલ ૯,૧૨,૭૭૩ મતદારો નોંધાયેલા છે, જેમાં ૪,૭૫,૫૧૯ પુરુષ, ૪,૩૭,૨૫૧ સ્ત્રી અને ૦૩ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. તાલુકાવાર ગણતરી મુજબ સરસ્વતી તાલુકામાં સૌથી વધુ આશરે ૧,૫૦,૬૦૦ મતદારો નોંધાયેલા છે, જ્યારે શંખેશ્વર તાલુકામાં સૌથી ઓછા ૫૯,૮૨૫ મતદારો નોંધાયા છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને લોકશાહી મજબૂત બનાવવા માટે મતદાનના દિવસે અવશ્ય પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને અન્યને પણ પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી છે.












