
સુરતઃ મનપા સંચાલિત વિવિધ હેલ્થ સેન્ટરો પૈકી કેટલાક હેલ્થ સેન્ટરોમાં મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફ સમયસર ફરજ પર હાજર રહેતા ન હોવાથી દર્દીઓ તથા તેમના પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ખુદ હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિરે નોંધ પાઠવી આરોગ્ય વિભાગના ડે.કમિશનરને તમામ હેલ્થ સેન્ટરોમાં મેડિકલ- પેરામેડિકલ સ્ટાફની હાજરી બાબતે યોગ્ય કાર્યવાહી કરવા, વ્યવસ્થા ગોઠવવા માટેની સુચના આપી છે.હોસ્પિટલ કમિટીના અધ્યક્ષ મનપા સંચાલિત હોસ્પિટલો, હેલ્થ સેન્ટરોમાં પ્રવર્તમાન સુવિધાઓ સારવાર લેવા આવતા દર્દીઓને સારી રીતે મળી શકે તથા દર્દીઓના પરિવારજનોને પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સતત કાર્યરત રહે છે. નિયમીત રીતે હોસ્પિટલો, હેલ્થ સેન્ટરોમાં વિઝીટ કરી સિસ્ટમ વધુ સારી ગોઠવવાનો પ્રયત્ન હોસ્પિટલ કમિટીના ચેરમેન દ્વારા થતો રહે છે. જોકે આ વિઝીટો દરમિયાન કેટલાક હેલ્થ સેન્ટરોમાં મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ નિર્ધારીત સમયે હાજર રહેતો ન હોવાની ગંભીર બાબત ધ્યાને આવી છે. પરિણામે હોસ્પિટલ કમિટીના અધ્યક્ષે આ બાબતે વિધિવત નોંધ પાઠવી ડે.કમિશનર (હેલ્થ)ને હેલ્થ સેન્ટરોમાં મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ દ્વારા ચાલતી લાલિયાવાડી બાબતે અવગત કરાવવામાં આવ્યા છે. અને મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ નિર્ધારીત સમયે હેલ્થ સેન્ટરોમાં ઉપલ્બધ રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા જરૂરી સુચના, કાર્યવાહી માટેની તાકીદ કરી છે.હોસ્પિટલ કમિટીના ચેરપર્સન દ્વારા આ પ્રકારની નોંધ ખરેખર ગંભીર ગણી શકાય. મનપા કમિશનર કે વિભાગ દ્વારા નોકરીના નામે લેટલતીફી કે લાલિયાવાડી કરતા મેડિકલ, પેરામેડિકલ સ્ટાફને નિયંત્રીત કરવા કોઇ પગલા ઉઠાવે છે કે કેમ? તે જોવું રહ્યું.






