
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરત મનપા દ્વારા ફાયર એનઓસી, બીયુસી વિનાની ૧૦૪પ કોમર્શિયલ મિલકતોને સીલ કરી હતી. જેમાં ૩૨ ટેક્ષટાઇલ માર્કેટો, ૧૩૦ હોસ્પિટલો અને ૧૬૧ કોમર્શિયલ કોમ્પ્લેક્ષોનો સમાવેશ થાય છે. કાયદેસર-ગેરકાયદેસર કોમર્શિયલ મિલકતો સીલિંગમાં આવરી લેવામાં આવી હતી પરંતુ સીલ મરાયેલ ૧૦૪૫ મિલકતો પૈકી ૩૦૪ મિલકતો મનપાના વિવિધ ઝોનના આકારણી ચોપડે જ નોંધાયેલ ન હોવાનો ઘટસ્ફોટ સુરત-પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ આજે સંકલન બેઠકમાં કર્યો હતો.નોંધિનીય છે કે ધારાસભ્ય રાણાને આ માહિતી સત્તાવાર રીતે મનપા તંત્ર દ્વારા જ આપવામાં આવી છે. શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો છે. રાજકીય, સ્થાનિક અધિકારીઓની છત્રછાયામાં જ ગેરકાયદેસર બાંધકામો થયા હોય છે. આ ગેરકાયદેસર બાંધકામો મનપાના સેન્ટ્રલ કે ઝોનના ટીડીઓ વિભાગના રેકર્ડ પર ન હોય તે સ્વભાવિક છે. પરંતુ આ સીલ મરાયેલ પૈકી ગેરકાયદેસર ૩૦૪ ગેરકાયદેસર મિલકતો આકારણી દફતરે પણ નોંધાયેલ નથી. તેનો સીધો અર્થ છે કે આ ૩૦૪ મિલકતો ગેરકાયદેસર ઊભેલી મિલકતોમાં મિલકત વેરો વસુલાતો નથી. આ બાબત ખૂબ ગંભીર ગણી શકાય.ધારાસભ્ય રાણાની રજૂઆતને પગલે મનપા કમિશનરએ આ અંગેની એસઓપી બનાવીને અધિકારી- કર્મચારીઓની જવાબદારી ફિક્સ કરવા માટેની તૈયારી બેઠકમાં બતાવી છે. આકારણી ચોપડે દાખલ ન થયેલ ગેરકાયદેસર મિલકતોથી મનપાને વાર્ષિક કરોડો રૂપિયાનું નુકસાન થાય તેમ છે. આ દિશામાં મનપા કમિ. વધુ ગંભીરતા દાખવે તે જરૂરી છે.








