ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ કેળવાય માટે ત્રિ-દિવસીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા દિવસે “સંસ્કૃત સાહિત્ય દિન” નિમિત્તે બોડેલી બીએપીએસ સ્વામીનારાયણ હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને સંસ્કૃત સાહિત્ય સભા અને સંસ્કૃત પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. “સંસ્કૃત સાહિત્ય દિન” નિમિત્તે સંસ્કૃત સાહિત્ય સભામાં સંસ્કૃત વિશે કટલેક્ટરશ્રી ગાર્ગી જૈનને જણાવ્યું કે, સંસ્કૃત એ વેદોની પ્રાચીન ભાષા છે. સાંસ્કૃતિક ધરોહરની ઓળખ સંસ્કૃત થી થાય છે. વર્તમાન સમયમાં અન્ય ભાષાઓની સાથે સંસ્કૃત ભાષા શિખવી જોઈએ. આ કાર્યક્રમમાં એસ.એન. વિશ્વવિદ્યાલય છોટાઉદેપુરના શ્રી રશિકભાઈ રાઠવા અને સરકારી વિશ્વવિદ્યાલય કવાંટના આચાર્યટશ્રી અર્ચના ત્રિવેદીએ “સંસ્કૃત સાહિત્ય દિન” નિમિત્તે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રંગોળી, વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાઓના વિજેતાઓને મહાનુભાવોને હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સભાખંડમાં સંસ્કૃત સાહિત્યનું પ્રદર્શન સહિત સંસ્કૃત વિષયક રંગોળી જિલ્લા કલેકટરશ્રીએ નિહાળી હતી. આ કાર્યક્રમમાં બોડેલી પ્રાંત અધિકારીશ્રી ભૂમિકા રાઓલ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી આનંદ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી જે કે પરમાર, ટીપીઈઓ બોડેલી સંદીપભાઈ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.